ધો. 5થી 12નો મજબૂત પાયો, કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવાની સીડી

અનિરુદ્ધસિંહ પરમાર | અમદાવાદ

જો તમે જીપીએસસી ક્લાસ-1, 2ની તૈયારી કરતા હોવ તો તમારા માટે ધોરણ 5થી 12નાં પાઠ્યપુસ્તકો મહત્વનાં છે, કારણ કે જીપીએસસી 2018માં લેવાયેલી પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 20 ટકા સુધીના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત પુછાયા હતા. આથી હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ સેન્ટરોએ પણ તેમના સિલેબસમાં પાઠ્યપુસ્તકનો સમાવેશ કર્યો છે. જીપીએસસીએ પણ ક્લાસ-1, 2ની પરીક્ષા માટે કોર્સમાં ધોરણ 12 સુધીના અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે.

પ્રાથમિક શાળાના શિક્ષણને જો તમે ભૂલી ગયા હોવ તો તમારે સ્પર્ધાત્મક પરીક્ષા અને ખાસ કરીને જીપીએસસી ક્લાસ-1, 2ની પરીક્ષા માટે ફરી વાંચવું જરૂરી છે, કારણ કે નિષ્ણાતોના મતે પાઠ્યપુસ્તકોમાં વિષયોનું પ્રાથમિક જ્ઞાન હોય છે. આ સાથે જ પાઠ્યપુસ્તકો બાળકો સમજી શકે તે ભાષામાં તૈયાર કરાયા હોવાથી ઉમેદવારો પણ સરળતાથી વિવિધ વિષયો સમજી શકે છે.

ક્લાસ 1 અને 2 અધિકારી બનવા માટેની પરીક્ષામાં ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ મહત્ત્વનો છે: જીપીએસસીના ચેરમેન

ટેક્સ્ટ બુકની ભાષા સરળ હોય છે તેથી જલદી સમજી શકાય છે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે કોઈ પણ વિષયનું પાયાનું જ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી મળી રહે છે. ઉપરાંત પાઠ્યપુસ્તકોની ભાષા સરળ હોવાથી તમામ ઉમેદવારો સમજી શકે તે રીતે તૈયાર કરાયેલા હોય છે. કરિયર એક્સપર્ટ્ના મતે, ઉમેદવાર ગણિત કે અર્થશાસ્ત્રમાં નબળો હોય તો તે ધોરણ 5થી 12નાં પાઠ્યપુસ્તકોમાંથી તૈયારી કરીને શરૂઆતનું જ્ઞાન મેળવી શકે છે.

તૈયારી કરતી વખતે સરકારી પુસ્તકો પર વધુ ભાર મૂકો

 દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાઠ્યપુસ્તકો ખૂબ જ મહત્ત્વનાં છે, કારણ કે ઉમેદવારે બેઝિકની તૈયારી પાઠ્યપુસ્તકોમાંથી જ કરવાની હોય છે. ક્લાસ-1, 2ની તૈયારી કરતા હોય તેમણે હંમેશાં સરકારી પુસ્તકો પર વધુ આધાર રાખવો. ઉપરાંત સમયે સમયે સરકાર દ્વારા બહાર પાડાતા દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવો જોઈએ. પ્રકાશ પ્રજાપતિ, જીપીએસસી 2017ના ટોપર, હાલ ડીવાયએસપી, ગીર-સોમનાથ

જનરલ નોલેજ માટેના પ્રશ્નો પાઠ્યપુસ્તકોમાંથી જ પૂછાય છે

 જે ઉમેદવારો જીપીએસસી ક્લાસ-1, 2ની તૈયારી કરતા હોય તેમણે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયો માટે ધોરણ 5થી 12નાં પાઠ્યપુસ્તકોના તમામ વિષયો ફરી વાંચી જવા જોઈએ. પેપરમાં જનરલ નોલેજના પ્રશ્નો પણ પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવામાં આવે છે. ગયા વર્ષે મોટા ભાગના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી પુછાયા હતા. દિનેશ દાશા, ચેરમેન, જીપીએસસી

ક્લાસ 1-2ની તૈયારી માટે ધો. 11, 12નાં પુસ્તકો મહત્ત્વનાં

 ક્લાસ-1,2ની તૈયારી કરતા ઉમેદવારો માટે ધો.11, 12નાં પાઠ્યપુસ્તકો મહત્ત્વનાં છે. જ્યારે ક્લાસ- 3, 4 માટે જે ઉમેદવારો તૈયારી કરતા હોય તેમના માટે ધો.5થી 12નાં પુસ્તકો મહત્ત્વનાં છે. પાઠ્યપુસ્તકોથી વિષયનું પાયાનું જ્ઞાન મળે છે ત્યાર બાદ તેમાં ઊંડાણમાં જઈએ તો મુશ્કેલી પડતી નથી. આથી પરીક્ષામાં પાઠ્યપુસ્તકો મહત્વનો ભાગ ભજવે છે. નરેન્દ્ર કરણકોટ, કરિયર કોચિંગ એક્સપર્ટ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/34FUatO

Comments