છઠ્ઠી વાર એક્સટેન્શન મેળવનારા કૈલાસનાથન પ્રથમ સનદી અધિકારી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ સનદી અધિકારી કુનિયિલ કૈલાસનાથનને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વર્ષનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કૈલાસનાથન સતત છઠ્ઠીવાર એક્સટેન્શન મેળવનારા અને નિવૃત્તિ પછી રાજ્ય સરકારની અતિમહત્ત્વની જગ્યા પર છથી વધુ વર્ષ માટે કામ કરનારા પહેલા સનદી અધિકારી બન્યા છે.
નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું
1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યું હતું. જૂન 2013માં સેવાનિવૃત્ત થયા બાદ તુરંત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી.
આનંદીબેન પટેલે પણ બે એક્સટેન્શન આપ્યા
ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણી બાદ મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઇ જશે તેવી વકી વચ્ચે પણ કૈલાશનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ 2016થી ડિસેમ્બર 2017 અને ડિસેમ્બર 2017થી ડિસેમ્બર 2019 સુધીનું એક્સટેન્શન અપાયું હતું.
સત્તાના ગલિયારામાં કેકેના હુલામણા નામથી ઓળખાય છે
33 વર્ષ સુધી ગુજરાત સરકારમાં સનદી અધિકારી તરીકે કામ કર્યાં બાદ આ વધુ સાડા છ વર્ષના સમયગાળા માટે કૈલાસનાથને કામ કર્યું છે. સત્તાના ગલિયારામાં કેકેના હુલામણા નામથી ઓળખાતા કૈલાસનાથન પાસેહાલ ઘણી મહત્ત્વના ખાતાની કામગીરીઓ છે. આ પૂર્વે ગોધરાકાંડની તપાસ કરી રહેલા પોલિસ અધિકારી નોએલ પરમારને પાંચ વાર એક્સટેન્શન અપાયું હતું અને તેમણે નિવૃત્તિ બાદ 2004થી 2009 સુધી એમ પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું.
ત્રણ મુખ્યમંત્રીના કાર્યકાળમાં કે. કૈલાસનાથનને એક્સટેન્શન અપાયું
  • ઓગસ્ટ 2006થી એપ્રિલ 2008 સુધી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા.
  • ઓક્ટોબર 2010થી મે 2013 સુધી ફરી મુખ્યમંત્રી મોદીના અધિક મુખ્ય સચિવ તરીકે નિયુક્ત રહ્યા અને 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયા.
  • નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા.
  • મે 2014માં લોકસભા ચૂંટણી બાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને કૈલાશનાથનને એક વર્ષ સુધી પોતાના અગ્ર મુખ્ય સચિવ પદે ચાલુ રાખ્યા.
  • મે 2015થી ફરી એક વર્ષ માટે આનંદીબેને તેમને એક્સટેન્શન આપ્યું.
  • આનંદીબેનના રાજીનામાં બાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે પણ ઓગસ્ટ 2016થી પોતાના કાર્યકાળ સુધી કૈલાસનાથનને પોતાના અગ્ર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કર્યા.
  • 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ વિજયી થયો અને ફરી એકવાર વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા. આ સાથે જ તેમણે પોતાના કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે કૈલાસનાથનને બે વર્ષનું એક્સટેન્શન આપ્યુ જે ડિસેમ્બર 2019માં પૂર્ણ થવાનું હતું.
  • આ એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલાં જ રૂપાણીએ વધુ બે વર્ષ એટલે ડિસેમ્બર 2021 સુધી તેમનો કાર્યકાળ લંબાવી દીધો છે.
  • હજુ 2022માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી કૈલાસનાથન આ જ પદ પર યથાવત્ રહેશે તેમ સરકારના સૂત્રો જણાવે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કૈલાસનાથન-ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/37RkVh1

Comments