DPSનાં મંજૂલા શ્રોફ, હિતેન વસંત, અનિતા દુઆ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમને 1 રૂપિયાના ટોકન ભાડે જમીન આપવાના વિવાદમાં સપડાયેલી ડીપીએસના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, આ ત્રણેયે ભેગા મળી વર્ષ 2010માં સ્કૂલને CBSEની માન્યતા પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારને ખોટું એનઓસી રજૂ કર્યું હતું. સરકારે CBSE બોર્ડ પાસેથી માંગેલા દસ્તાવેજોમાં આ ભાંડો ફૂટ્યો હતો. સ્કૂલની જમીન બિનખેતીની ન થઈ હોવાને કારણે રાજ્ય સરકારે સ્કૂલને વર્ષ 2010 અને 2012માં એનઓસી આપી ન હતી. તેમ છતાં સ્કૂલે બારોબાર ખોટી એનઓસી રજૂ કરી દીધી હતી.
શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડીપીએસ-ઈસ્ટ સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી હતી. આ બનાવટી એનઓસી રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં 11-9-2009ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી તેમજ 21-1-2012ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજૂલા એસ. (મંજૂલા શ્રોફે) સહી કરી છેતરપિંડી કરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી 2012માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.
મોડી રાતે 11 વાગે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા ત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં જે ત્રણ સામે આક્ષેપાત્મક પોલીસ ફરિયાદ છે તેઓ ઊંચી વગના હોવાને કારણે પોલીસ પણ તેમની સામે ફરિયાદ નોંધવામાં પક્ષકાર બનવા માટે તૈયાર ન હતી. જ્યારે ડીઈઓ પણ કોને આરોપી તરીકે દર્શાવવા તે અંગે અસમંજસમાં મૂકાયા હતા. 5 કલાકની લાંબી ચર્ચા ડીઈઓ અને શિક્ષણ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ વચ્ચે થયા બાદ મોડી રાતે 11 વાગે અનિતા દુઆ, હિતેન વસંત અને મંજૂલા શ્રોફ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો.
નવ વર્ષ પછી શિક્ષણ વિભાગની આંખો ખૂલી
ખોટી એનઓસીથી ડીપીએસ સ્કૂલને માન્યતા મેળવ્યા બાદ 9 વર્ષ સુધી જૈસે થે ની સ્થિતિમાં સ્કૂલ ચાલી હતી. નિત્યાનંદનો વિવાદ સર્જાતા ડીપીએસ સ્કૂલે માન્યતા જ ખોટી મેળવી હોવાનું સરકારને ખબર પડી હતી. 9 વર્ષથી પોલંપોલ ચાલતી હતી.
NOCની ફાઈલ જ શિક્ષણ વિભાગમાં રજૂ કરી ન હતી
સીબીએસઈએ રાજ્ય સરકારને મોકલેલા દસ્તાવેજો તપાસ કરતાં શિક્ષણ વિભાગના ટપાલ રજિસ્ટરમાં એનઓસીનો નંબર પણ લોક ફરિયાદ નિવારણ અંગેનો નોંધાયો હતો. ડીપીએસની એનઓસીની ફાઈલ જ શિક્ષણ વિભાગમાં રજૂ કરી ન હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આરોપી મંજૂલા શ્રોફ અને હિતેન વસંત.
DPS સ્કૂલ, હિરાપુર, અમદાવાદ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2q81DD2

Comments