આગામી 10 મહિનામાં લગ્નનાં ફક્ત 13 જેટલાં જ મુહૂર્ત છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે માર્ચ મહિના સુધીમાં ઘણાં ઓછાં લગ્ન સંપન્ન થઇ શક્યાં છે. દેવશયની એકાદશી એટલે કે 1 જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે, જે આ વર્ષે આષો મહિનો અધિક હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો રહેશે. જેથી લગ્નના મુહૂર્ત 25 નવેમ્બર પછી પ્રાપ્ત થશે. જેમાં પણ લગ્નના નક્ષત્ર અને શ્રેષ્ઠ મુહૂર્તનો વિચાર કરીએ તો નવેમ્બર મહિનામાં 2, ડિસેમ્બરમાં 7 દિવસના જ લગ્નના મુહૂર્ત રહેશે.
જયોતિષાચાર્યોએ જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી-2021 ધનારક અને ત્યારબાદ એપ્રિલ મહિના સુધી ગુરુ-શુક્ર ગ્રહના અસ્ત અને મીનારકના કમૂરતાં હોવાના કારણે 13 એપ્રિલ-2021 પછી શુભ વિવાહના મુહૂર્ત પ્રાપ્ત થશે. આ વર્ષે લગભગ 70 જેટલાંમુહૂર્ત હતાં.આવતા વર્ષે લગ્ન માટે 43 જેટલાં મુહૂર્ત પ્રાપ્ત થાય છે. જ્યારે આવનાર 10 મહિના દરમિયાન વિવાહના ફક્ત 13 મુહૂર્ત છે. જેથી લગ્ન ઇચ્છુક લોકોએ એપ્રિલ-2021 સુધી રાહ જોવી પડશે.
જૂનના મુહૂર્ત પછી 25 નવેમ્બર સુધી બ્રેક
ભડલી નોમ એટલે અષાઢ સુદ નોમ, જે 29 જૂનના રોજ છે. અષાઢ માસની નવરાત્રીનો છેલ્લો દિવસ પણ છે. આ નોમને શ્રી હરિ જયંતી નોમ પણ કહેવાય છે. ખાસ કરી ઉત્તર ભારતમાં આ દિવસે અનેક લગ્નનાં આયોજન થતાં હોય છે. અખાત્રીજ જેવું આ વણજોયું મુહૂર્ત છે. જૂન મહિનામાં 25 પછી હવે 29 તારીખના રોજ વિવાહનું મુહૂર્ત છે. જૂનના મુહૂર્ત પછી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગશે.
ગુરુ -શુક્ર ગ્રહ અસ્ત હોવાથી મુહૂર્ત નહીં મળે
ધનારક એટલે 14 જાન્યુઆરી-2021 પછી પણ લગ્ન યોગ્ય મુહૂર્ત પ્રાપ્ત થતાં નથી. કારણકે 19 જાન્યુઆરી-2021 થી 11 ફેબ્રુઆરી-2021 સુધી ગુરુ ગ્રહ અસ્ત રહેશે. જ્યારે 19 ફેબ્રુઆરી-2021 થી 17 એપ્રિલ- 2021 સુધી શુક્ર ગ્રહ અસ્ત રહેશે. શાસ્ત્રીય પ્રમાણ અનુસાર ગુરુ અને શુક્ર ગ્રહ અસ્ત હોવાથી માંગલિક કર્યો થઇ શકતાં નથી. જેના પગલે એપ્રિલ-2021 સુધી લગ્ન જેવા માંગલિક પ્રસંગોને ખૂબ મોટી અસર થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VGcroz
Comments
Post a Comment