700થી વધુ મોત થતાં ખરડાયેલી સિવિલની 1200 બેડની કોવિડમાં હવે માત્ર 270 દર્દી, નવા કોરોનાગ્રસ્તોને બીજી હોસ્પિટલોમાં મોકલાયા
કોરોના વાઈરસની મહામારીને કારણે સિવિલ કેમ્પસમાં આવેલી 1200 બેેડની કોવિડ હોસ્પિટલમાં અંદાજે 700થી વધુ દર્દીના મોત થતાં તેની ઈમેજ ખરડાઈ હતી. જો કે, આ ઈમેજ સુધારવા પ્રયત્નો થઈ રહ્યા હોય તેમ લાગે છે. કોવિડના દર્દીઓથી ઊભરાતી આ હોસ્પિટલમાં હાલ 1200 બેડ સામે માત્ર 270 દર્દી છે. સોલા સિવિલમાં 119 દર્દી સારવાર હેઠળ છે.
સિવિલની કોવિડ હોસ્પિટલમાં અગાઉ રોજના મોત ડબલ ડિજિટમાં રહેતા હતા. જેને કારણે અમદાવાદનો મૃત્યુદર પણ ઊંચો હતો. આ મૃત્યુદરથી ચિંતિત કેન્દ્રીય ટીમે બે વખત કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી. આ ઉપરાંત ઊંચા મૃત્યુદર અને અસુવિધાઓની ગંભીર નોંધ લઈ હાઇકોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી.
કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા માટે હવે નવા કોરોનાનાગ્રસ્ત દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે. કોવિડ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા 270 દર્દીમાંથી 125ની હાલત ગંભીર હોવાથી આજે પણ આઈસીયુમાં છે. જ્યારે 60 દર્દીને વેન્ટિલેટર અને બાયપેપ પર રાખવામાં આવ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઈસોલેશનનો પણ આગ્રહ રાખવામાં આવે છે.
સિવિલમાં 25 જૂને સૌથી વધુ 359 દાખલ હતા
તારીખ | દાખલ | ડિસ્ચાર્જ | કુલ દાખલ |
25 જૂન | 44 | 35 | 359 |
26 જૂન | 52 | 32 | 341 |
27 જૂન | 54 | 32 | 321 |
28 જૂન | 44 | 29 | 307 |
29 જૂન | 29 | 25 | 270 |
સોલા સિવિલનું સરવૈયું
તારીખ | દાખલ દર્દી |
24 જૂન | 153 |
25 જૂન | 152 |
26 જૂન | 136 |
27 જૂન | 128 |
28 જૂન | 123 |
29 જૂન | 119 |
નોંધ: ડિસ્ચાર્જના આંકડા પોઝિટિવ દર્દીના છે, ટ્રાન્સફરના નથી
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું- અમદાવાદમાં કેસ ઘટ્યા, રિકવરીમાં સુધારો થયો
ભાસ્કર: સિવિલ હોસ્પિટલમાં હવે ઓછા કેસ આવે તેવું કરાઈ રહ્યું છે, જેથી મૃત્યુ દર ઘટે?
શિવહરે:એવું નથી, ઊલટાનું અમદાવાદમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા ઘટી રહી છે અને તેની સામે રિકવરી સારા એવા પ્રમાણમાં છે એટલે સિવિલમાં દર્દીની સંખ્યા હાલ ઓછી છે.
ભાસ્કર: આવું કેમ બને?
શિવહરે:શરૂઆતથી જ પૂર્વ અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતા હતા જ્યારે પશ્ચિમ અમદાવાદમાં નોંધાયેલા દર્દીઓ મહત્તમ એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા. હાલ પૂર્વ અમદાવાદમાં કેસમાં ઘટાડો થયો છે તેથી સિવિલમાં ભારણ ઘટયું છે.
ભાસ્કર: આવો દાવો કઈ રીતે કરી શકો?
શિવહરે:અગાઉ કોઈપણ સરકારી કે ખાનગી દવાખાનામાં ઓપીડી દરમ્યાન શંકાસ્પદ કેસના ટેસ્ટ કરાતા ત્યારે પોઝિટિવ દર્દીનો દર 60 ટકા હતો જે હાલ ઘટીને 20 ટકાથી ઓછો છે. એટલે કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. અમે આંકડા જોઇને કામ કરવા કરતાં મહત્તમ દર્દી સાજા થઈ ઘરે જાય તે લક્ષ્ય રાખીએ છીએ.
SVPના ડોક્ટરો પરનું ભારણ ઘટાડવા દર્દી બીજી હોસ્પિટલમાં રિફર થાય છે
એસવીપી હોસ્પિટલમાં હાલ આઇસીસીયુમાં 100 દર્દી છે. અત્યારે પણ એસવીપીમાં 250થી વધુ દર્દી છે. હવે કોરોના સંક્રમણ સાથે આવતા દર્દીઓને શહેરની 62 ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનો વિકલ્પ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસવીપીમાં ડોક્ટરો પરનું ભારણ ઘટાડવા માટે નવા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે.
કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં આગ, સ્ટાફે બુઝાવી દીધી
સોમવારે સિવિલ કેમ્પસની કિડની હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક આગ બુઝાવી દીધી હતી. હોસ્પિટલના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, ચોથા માળના ઓપરેશન થિયેટરમાં સવારે 6.30 વાગ્યે એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38eCckU
Comments
Post a Comment