દેશનું સૌથી મોટું તીર્થસ્થાન બનવા જઈ રહેલી રામની નગરી, અયોધ્યાની આંખોમાં હવે રંગ ચમકે છે

સરયૂ નદી બે કિનારે છે. પ્રવાહ એટલો તેજ અને લહેરોં પર લહેર ફેલાવી રહ્યો છે કે સામે પાર કિનારો દેખાતો નથી. બાળપણથી જ સરયૂ કિનારે લારી લગાવનારા હોય કે મોટા સંભાવનાશીલ વેપારી, દરેકની આંખોમાં ચમક છે. યુવાનોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મંદિર સાથે જોડાયેલી રાજનીતિ ભલે ગમે તે હોય, અયોધ્યા હવે હરિદ્વાર અને તિરુપતિને પણ પાછળ પાડી દેશે. જોકે, રામમંદિરની આજુ-બાજુનાં વિસ્તારનાં લોકોનાં ચહેરા પર પુન:નિર્માણ દરમિયાન થોડો ભય પણ સ્પષ્ટ દેખાય છે. જોકે, નવી પેઢીને લાગી રહ્યું છે કે, તેમનું ભવિષ્ય સુધરવા જઈ રહ્યું છે. અયોધ્યા-દેવીપાટન હોટલ એસોસિએશનના અનિલ અગ્રવાલ કહે છે કે, 2000થી વધુ નવી હોટલ ખૂલવાની સંભાવના તો છે જ, અહીંની રેલવે કનેક્ટિવિટી વધવા, એરપોર્ટ બનવા અને પ્રવાસન સમૃદ્ધ થવાની અપાર સંભાવનાઓ છે. રામ નવમી કે દિવાળી પર તો અહીં દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. સરયૂનો મહિમા પહેલાથી જ એટલો છે કે અહીં શ્રાવણમાં એક-એક દિવસે 15 લાખ લોકો આવે છે. ગયા વર્ષે 2 કરોડ પ્રવાસી આવ્યા હતા.

શ્રીરામ કી પૌડી અને નયા ઘાટથી માંડીને રામલલ્લાના મંદિર સુધી આખું અયોધ્યા સજી રહ્યું છે. તેની ધજા અગાઉની તુલનામાં એટલી અલગ છે કે, અત્યંત પૌરાણિક અને સાધારણ દેખાતું આ ધાર્મિક અને ઐતિહાસિક નગર હવે સનાતન ધર્મનું મુખ્ય તીર્થસ્થાન બનવા તલપાપડ છે. જોકે, તેમાં હિન્દુત્વની રાજનીતિ પણ રામમંદિરના શિલાન્યાસના માધ્યમથી નવા સંકેત આપી રહી છે. આજે એક નવા અયોધ્યાની સંભાવના સૌની સામે છે.

આ અયોધ્યા એ અવધથી અલગ છે, જેના અંગે ક્યારેક નજીર બનારસીએ એક નઝમમાં કહ્યું હતું - ‘કાલી બલાએં સર પર પાલે, શામ અવધ કી ડેરા ડાલે, ઐસે મેં કૌન અપને કો સંભાલે, મેરા નિવાસસ્થાન યહી હૈ, પ્યાર હિન્દોસ્તાન યહી હૈ!’ અહીંના અયોધ્યાની પણ ઓળખ આપ્યા વગર કહે છે કે, આ અયોધ્યા હવે જૂનું અવધ નથી. અયોધ્યા પર એક બીજો જ રંગ ચડી રહ્યો છે. જ્યાં જાઓ ત્યાં પીળો રંગ થતો જોવા મળી રહ્યો છે. જોકે, પીળા રંગના આ મકાનોના બધા દરવાજા ભગવા થઈ રહ્યા છે. રામ કી પૌડી, નયા ઘાટ, કનક ભવન મંદિર અને મુખ્ય માર્ગો પર પરિવર્તન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ગઈકાલ સુધી અયોધ્યાના જે વિસ્તાર વેરાન અને ગંદકીના ઢગલા હતા, તે હવે બોલતા ઘર બની ગયા છે. એવા ઘર, જ્યાં મોદી-યોગીની નવી રાજનીતિ પણ આકાર લેશે!

જોકે, કોરોનાને લીધે એક ડર પણ છે. તેમ છતાં દેશભરમાંથી તીર્થયાત્રી અયોધ્યા આવી રહ્યા છે. અયોધ્યાને અડીને આવેલા ફૈઝાબાદ કસબામાં રાજકોટના ગોવિંદભાઈ મહેતાએ જણાવ્યું કે, તેઓ બાળપણથી જ અયોધ્યા આવતા રહ્યા છે. અગાઉ આ એકદમ શાંત અને સુમસામ શહેર હતું, પરંતુ હવે તેની તાસીર બદલાઈ રહી છે. તેઓ એક કવિતા ગાય છે - ‘લૌટ આઓ જો કભી રામ કી સુરત તુમ તો! મન કા સુનસાન અવધ દીપ નગર હો જાએ!’. તેમની જેમ જ અસંખ્ય લોકો 5 ઓગસ્ટના રોજ દીપ પ્રાગટ્ય માટે આવ્યા છે.

વડાપ્રધાન મોદીના પ્રવાસ અને મંદિરના શિલાન્યાસની તૈયારીઓ ચાલુ છે. ઠેર-ઠેર પોલીસનો પહેરો છે. હનુમાનગઢી થઈને રામલલ્લાના મંદિર તરફના મોટાભાગના બજારો ભેંકાર ભાસે છે. માત્ર પ્રસાદ કે ભક્તિવાળા સામાનની દુકાનો જ ખુલ્લી છે. જોકે, ત્યાં પણ ગ્રાહક નથી. દુકાનદાર નિરાશ છે, કેમ કે કામ નથી. કેટલીક દુકાનો પર વડીલોએ કંઈક બોલવા ગયા તો તેમની નવી પેઢીએ પ્રેમથી કહ્યું, બધું બરાબર જ થઈ રહ્યું છે.

ફેઝાબાદ અને અયોધ્યામાં લોકો કહે છે કે, રામ મંદિર બની જશે, સારું છે. મનની ઈચ્છા પુરી થઈ જશે, પરંતુ અત્યારે કોરોનાને લીધે અવધની માટીમાંથી ખુશ્બુ ગાયબ છે. જોકે, રાજનીતિના સમુદ્રમાં મોજા જરૂર ઉછળી રહ્યા છે! ખાસ કરીને ભાજપ અને હિન્દુત્વના વાદળ આ શ્રાવણમાં ગરજી-વરસી રહ્યા છે! ઠેર-ઠેર મોટા-મોટા હોર્ડિંગ આ જ વાત કહી રહ્યા છે.

અયોધ્યામાં 3 કલાક રોકાઈ શકે છે વડાપ્રધાન
વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત અયોધ્યા આવી રહેલા નરેન્દ્ર મોદી અહીં લગભગ ત્રણ કલાક રોકાઈ શકે છે. તેમના પ્રવાસની યુદ્ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. વડાપ્રધાનનું હેલિકોપ્ટર સાકેત ડિગ્રી કોલેજના મેદાનમાં ઉતરશે. અહીંથી, રામજન્મભૂમિ પરિસર સુધી સજાવટની સાથે ભજન કીર્તન અને રામ સાથે જોડાયેલી ઝાંખીઓ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શ્રીરામ કી પૌડી અને નયા ઘાટથી માંડીને રામલલ્લાના મંદિર સુધી આખું અયોધ્યા સજી રહ્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2EFf4kH

Comments