લોકડાઉન દરમિયાન શહેરમાં કોરોના બાબતે સુરક્ષિત વિસ્તાર હતો તે કતારગામ ઝોન વિસ્તાર જ હતો. લોકડાઉન ખુલતાની સાથે જ આ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થઈ શકે છે એવી ભીતિ પણ હતી. પરંતુ તેને પાલિકાએ અવગણી અને આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે હોસ્પિટલોમાં બેડ ઓછા પડી રહ્યા છે. હીરા કારખાનામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી, રત્નકલાકારો માસ્ક પહેરતા નથી. નોકરી પરથી ઘરે જઈને સોસાયટીઓના નાકા પર ટોળે વળીને બેસે છે. આ બધું જ તંત્રની નાક નીચે થયું પણ યોગ્ય કાર્યવાહી ન થઈ એટલે કોરોના બેકાબૂ થઈ ગયો. શહેરના અન્ય સ્થળો પર સરકારી ગાઇડલાઇનની કડક અમલવારી કરવાઈ પરંતુ હીરા કારખાના ચાલુ કરાવવા માટે તંત્ર ઉપર જાણે રીતસર કોઈ દબાણ હોય તેમ કમને ચાલુ રહેવા દીધા અને લોકો ચેપગ્રસ્ત થતા રહ્યા. હવે તંત્રને આત્મજ્ઞાન થયું છે કે કારખાના બંધ રહેવા જોઈએ.
પોલીસ તંત્રે દાખવેલી લાપરવાહીએ આજે કોરોનાની સ્ફોટક પરિસ્થિતિ સર્જવા માટે જવાબદાર
અનલોકના 28 દિવસ થયાં તેમાં સૌથી ખરાબ હાલત કતારગામ અને વરાછાની છે. કતારગામમાં પોઝિટીવ કેસો 1150 સુધી પહોંચી ગયા છે, જ્યારે વરાછા-એ અને વરાછા-બી ઝોનમાં મળી કુલ 800 થી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે. વરાછામાં લાખો ડાયમંડ વ્યવસાય સાથે સંકડાયેલા વતનથી પરત ફર્યા છે હિરા ઉદ્યોગ શરૂ કરાયો પરંતુ જે 14 દિવસ ફરજિયાત હોમ કોરંન્ટાઈનનું પાલન, 50 ટકા જ સ્ટાફનો અમલ, હિરા કારખાનામાં ઘંટી પર માત્ર એક વ્યક્તિએ બેસવું, ઓડઈવન પદ્ધતિ જેવા નિયમોને અભરાઈએ ચઢાવી દેવાયા પાલિકા સાથે ખાસ કરીને પોલીસ તંત્રે દાખવેલી લાપરવાહીએ આજે કોરોનાની સ્ફોટક પરિસ્થિતિ સર્જવા માટે જવાબદાર છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેરે પોલીસની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી છે 15 દિવસ સુધી કડક લોકડાઉનની જરૂરીયાત હોવાનું કહ્યું છે.અત્યાર સુધીમાં 580 થી વધુ કોરોના પોઝિટીવ કેસ ફક્ત ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલાઓમાં નોંધાઈ ચુક્યા છે.
બેદરકારીથી હીરા પેઢીમાં કેસ વધ્યા
સાવચેતીમાં બેદરકારીના લીધે પેઢીઓ સાથે સંકળાયેલા કોરોના સંક્રમણમાં સપડાઈ રહ્યા છે. હીરા ફેકટરી અને ઑફિસમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટનસિંગ, ઉકાળાની વ્યવસ્થાની સૂચના આપી છે.ઉદ્યોગકારોની કમિટી બનાવી ડાયમંડ કારખાનામાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું ઇન્સ્પેકશન કરાશે. > દિનેશ નાવડીયા, રિજ્યોનાલ ચેરમેન, જીજેઈપીસી
1. વીજ બિલ બચાવવા ઘંટી પર વધુ કારીગરો
કેટલાક કારખાનેદાર વીજ બિલ બચાવવા ઘંટી પર વધારેમાં વધારે જ કારીગરો બેસે તેવો આગ્રહ રાખે છે. જેના લીધે હીરા ઘસતી વખતે રત્નકલાકારોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. એક હોર્સ પાવરની ઘંટીનું મહિને 2400 રૂપિયા વીજ બિલ આવે છે. કારખાનેદાર 1200 રૂપિયા બચાવવા વધુ કારીગરોને જ ઘંટી પર બેસાડી જીવ જોખમમાં મુકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
2. લેસર કટિંગ અને એસોર્ટિંગમાં જોખમ
હીરા કારખાનામાં લેસર કટિંગ અને હીરા છૂટા પાડવા થતું એસોટિંગ એસી કેબિનોમાં જ થાય છે. આ કેબિનોમાં કોરોના વધુ સમય સુધી હવામાં તરતા હોવાથી સંક્રમણની સ્થિતિ વધુ જોખમી છે. કતારગામ ઝોનમાં 283 રત્નકલાકારોમાં મળેલાં કોરોના સાથે આ જોખમી કામગીરી સંકળાયેલી હોવાથી પાલિકાએ હીરા પેઢીની આ કામગીરીને વધુ જોખમી ગણાવી હતી.
3. માવો-ટિફિન શેરિંગ બીમારી આપી શકે
દરેક સૌરાષ્ટ્રવાસીની ખુબી છે કે દાણા-ચણા પણ ખાય તો બાજુ વાળા સાથે શેરિંગ કરે છે. જે માવા-ગુટખા અને રિસેસમાં ટિફિનમાં જોવા મળે છે. હાલ માવા-ટિફિન શેરિંગની દિલદારી હવે જોખમી સાબિત થઇ રહી છે. પાલિકાના નાયબ આરોગ્ય અધિકારીએ કહ્યું કે, હથેળી પર ચોળેલા માવો હાથથી બીજાને આપો તેના હાથ પરના જમ્સ તેની સાથે અન્યને ચેપ લગાડી શકે છે.
4. કારખાનાની કોમન ટોઇલેટ પણ ચેપનું ઘર
માળના હીરા કારખાનામાં એક ફ્લોર પર એ અને બી વિભાગમાં ડિવિઝન ચાલે છે. જેમાં 2500 રત્નકલાકારો સહિતનો સ્ટાફ કોમન ટોઇલેટનો ઉપયોગ કરે છે. કોરોના કેરમાં આટલાં મોટાં સ્ટાફ વચ્ચે ગણતરીના ટોઇલેટની સ્થિતિને પણ પાલિકાએ જોખમી બતાવી છે. કારીગરોના કહ્યા મુજબ આ બાથરૂમનું સેનિટાઇઝેશન તો ઠીક યોગ્ય સફાઇ પણ થતી ન હોવાનો કકળાટ ઊભો થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3icI2HZ
Comments
Post a Comment